૧. અલિફ-લામ્-રૉ. [1] આ અલ્લાહની કિતાબની અને તે કુરઆનની આયતો છે, જે પોતાના આદેશો સ્પષ્ટ રીતે વર્ણન કરે છે.
അൽ ഹിജ്ർ الحجر Al-Hijr
സൂറത്ത് അൽ ഹിജ്ർ (Al-Hijr), ഖുർആൻ അധ്യായം 15 — അറബി ആയത്തുകളും ગુજરાતી വിവർത്തനവും ഉൾപ്പെടെ 99 ആയത്തുകൾ വായിക്കുക. Read Surah Al-Hijr with Arabic text and ગુજરાતી translation.
૨. એક સમય આવશે, જ્યારે કાફિરો એવી આશા કરશે કે કદાચ તેઓ મુસલમાન બની ગયા હોત.
૩. તમે તેઓને (તેમની હાલત પર) છોડી દો, કે કઈક ખાઈ લે, થોડોક ફાયદો ઉઠાવી લે અને લાંબી આશાઓએ તેઓને ગફલતમાં રાખ્યા છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.
૪. અમે જે વસ્તીને પણ નષ્ટ કરી તો તેના માટે એક સમય પહેલાથી જ નક્કી કરેલો હતો.
૫. કોઈ કોમ તે નક્કી કરેલ સમય પહેલા નષ્ટ નથી થઇ શકતી અને ન તો તે સમય પછી બાકી રહી શકે છે,
૬. કાફિરો કહે છે કે હે તે વ્યક્તિ! જેના પર કુરઆન ઉતારવામાં આવે છે, ખરેખર તું તો કોઈ પાગલ છે.
૭. જો તમે સાચા જ છો, તો અમારી પાસે ફરિશ્તાઓને કેમ નથી લઇ આવતા?
૮. (જો કે) અમે ફરિશ્તાઓને સત્ય (નિર્ણય) ના સમયે જ ઉતારીએ છીએ અને તે સમયે તેમને મહેતલ આપવામાં નથી આવતી.
૯. ખરેખર અમે જ આ કુરઆનને ઉતાર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે.
૧૦. અમે તમારા પહેલાની કોમમાં પણ પોતાના પયગંબર મોકલ્યા હતા.
૧૧. અને જે પણ પયગંબર તેમની પાસે આવ્યા, તેઓ તેમની ઠઠ્ઠામશ્કરી જ કરતા રહ્યા.
૧૨. પાપીઓના હૃદયોમાં અમે આવી જ રીતે વાતો દાખલ કરીદઇએ છીએ.
૧૩. કે તેઓ તેમના પર ઇમાન નથી લાવતા અને નિ:શંક પહેલાના લોકોની પણ આજ રીત ચાલતી આવી રહી છે.
૧૪. અને જો અમે તેમના માટે આકાશના કોઈ દ્વાર ખોલી પણ નાંખીએ અને આ લોકો તેના પર ચઢવા પણ લાગે.
૧૫. તો પણ તે લોકો આ પ્રમાણે જ કહેશે કે અમારી આંખો ધોકો ખાઇ રહી છે અથવા તો અમારા પર જાદુ કરી દેવામાં આવ્યું છે.
૧૬. નિ:શંક અમે આકાશોમાં “બુરૂજ” બનાવ્યા અને જોનારાઓ માટે તેને શણગારી દેવામાં આવ્યું છે.
૧૭. અને દરેક ધિક્કારેલા શેતાનથી તેની રક્ષા કરી.
૧૮. હાં, જો કોઈ છુપી રીતે સાંભળવાનો પ્રયત્ન કરે, તો તેની પાછળ સળગેલો (ગોળો) લાગી જાય છે.
૧૯. અને ધરતીને અમે ફેલાવી દીધી અને તેના પર પર્વતોને જમાવી દીધા અને તેમાં અમે દરેક વસ્તુને એક માપસર ઊપજાવી દીધી છે.
૨૦. અને તે જ ઝમીનામાં અમે તમારા માટે રોજી બનાવી દીધી છે અને તેમના માટે પણ, જેમને તમે રોજી આપનારા નથી.
૨૧. અને જેટલી પણ વસ્તુઓ છે તે બધાંના ખજાના અમારી પાસે છે અને અમે દરેક વસ્તુને તેના માપસર જ ઉતારીએ છીએ.
૨૨. અને અમે પાણીનો ભારે ઉઠાવેલી હવાઓ મોકલીએ છીએ, પછી આકાશ માંથી પાણી વરસાવી તેના દ્વારા તમને પાણી પીવડાવીએ છીએ અને તે પાણીનો સંગ્રહ કરનાર પણ અમે જ છીએ, તમે નથી.
૨૩. અમે જ જીવન પ્રદાન કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ અને અમે જ (દરેક વસ્તુઓના) વારસદાર છે.
૨૪. અને તે લોકોને પણ જાણીએ છીએ, જેઓ તમારા કરતા આગળ વધી ગયા અને (તે લોકોને પણ જાણે છે) જેઓ પાછળ રહી જનારા છે,
૨૫. તમારો પાલનહાર જ બધાંને ભેગા કરશે, નિ:શંક તે ખૂબ જ હિકમતવાળો અને બધું જ જાણવાવાળો છે.
૨૬. નિ:શંક અમે મનુષ્યનું સર્જન, કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટીથી કર્યું.
૨૭. અને આ પહેલા અમે જિન્નાતોનું સર્જન, લૂં વાળી આગ વડે કર્યું.
૨૮. અને (તે સમય પણ યાદ કરો) જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે એક મનુષ્યનું સર્જન કરવાનો છું.
૨૯. તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉ અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો.
૩૦. છેવટે દરેક ફરિશ્તાઓએ (આદમ)ને સિજદો કર્યો.
૩૧. ફક્ત ઇબ્લિસ સિવાય, કે તેણ સિજદો કરવાવાળોનો સાથ આપવાથી ઇન્કાર કર્યો.
૩૨. (અલ્લાહ તઆલાએ) તેને કહ્યું હે ઇબ્લિસ! તને શું થઈ ગયું છે કે તું સિજદો કરવાવાળોનો સાથ ન આપ્યો?
૩૩. તેણે કહ્યું કે, મને યોગ્ય ના લાગ્યું કે હું એવા વ્યક્તિને સિજદો કરું, જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે પેદા કર્યો હોય.
૩૪. અલ્લ્લાહ તઆલાએ કહ્યું, હવે તું અહિયાથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે.
૩૫. અને તારા પર મારી ફિટકાર કયામત સુધી રહેશે.
૩૬. કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર! મને તે દિવસ સુધી (જીવિત રહેવાની) મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે.
૩૭. કહ્યું કે સારું તને મહેતલ આપવામાં આવે છે.
૩૮. તે દિવસ સુધી જેનો સમય નક્કી જ છે.
૩૯. (શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર! જો કે તે મને (આદમ દ્વારા) ગેરમાર્ગે કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ દુનિયામાં લોકોને (તેમના ગુનાહ) શણગારીને બતાવીશ, અને તે બધાને ગેર માર્ગે દોરીશ.
૪૦. તારા આજ્ઞાકારી બંદાઓ સિવાય (તેઓ બચી જાય તો બીજી વાત છે).
૪૧. અલ્લાહ તઆલાએ કહ્યું કે, હાં, આ તે રસ્તો છે, જે સીધો મારા સુધી પહોચે છે.
૪૨. મારા (સાચા) બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નહીં પડે, પરંતુ તારો પ્રભાવ ફક્ત તે ગુમરાહ લોકો પર હશે, જે તારું અનુસરણ કરશે.
૪૩. અને જહન્નમ જ તટે જગ્યા છે, જેનું વચન આવા લોકોને આપવામાં આવ્યું છે.
૪૪. જેના સાત દરવાજા છે, દરેક દરવાજા માટે એક વહેંચાયેલો ભાગ હશે.
૪૫. (તેની વિરુદ્ધ) પરહેજગાર લોકો બગીચાઓ અને ઝરણાઓમાં હશે.
૪૬. (તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે તેમાં પ્રવેશ કરો.
૪૭. તેમના હૃદયોમાં જો કપટ અને નિરાશા હશે તો તેને કાઢી લઇશું, તેઓ ભાઇ-ભાઇ બની એક-બીજાની સામે આસનો પર બેઠા હશે.
૪૮. ન તો ત્યાં તેમને કોઈ તકલીફ ઉઠાવવી પડશે અને ન તો તેઓને ત્યાંથી કાઢવામાં આવશે.
૪૯. (હે નબી)! મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને અત્યંત દયાળુ છું.
૫૦. અને સાથે સાથે એ પણ જણાવી દો કે મારો અઝાબ પણ અત્યંત દુ:ખદાયી અઝાબ છે.
૫૧. તેઓને ઇબ્રાહીમના મહેમાનો વિશે જણાવો.
૫૨. કે જ્યારે તેઓ તેમની પાસે આવ્યા તો ઇબ્રાહીમને સલામ કહ્યું, ઇબ્રાહીમે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે.
૫૩. તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ.
૫૪. ઈબ્રાહીમે કહ્યું, શું મને આ સ્થિતિમાં (બાળકની) ખુશખબર આપી રહ્યા છો, જ્યારે કે હું વૃદ્ધ થઇ ગયો છે, પછી તમે કેવી રીતે આ ખુશખબર આપી રહ્યા છો?
૫૫. તેઓએ કહ્યું કે અમે તમને સાચી ખુશખબરી આપી રહ્યા છીએ. તમે નિરાશ ન થશો.
૫૬. ઇબ્રાહીમે કહ્યું (હું નિરાશ નથી કારણકે) પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત ગુમરાહ લોકો જ થાય છે.
૫૭. પછી તેઓને પુછ્યું કે, અલ્લાહએ મોકલેલા (ફરિશ્તાઓ)! તમારું એવું શું અગત્યનું કામ છે?
૫૮. તેમણે જવાબ આપ્યો કે અમે એક અપરાધી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
૫૯. લૂતના કુટુંબીજનો સિવાય, અમે તે સૌને જરૂર બચાવી લઇશું.
૬૦. જો કે લૂતની પત્ની માટે (અલ્લાહના આદેશ પ્રમાણે) અમે નક્કી કર્યું છે કે તેઓ પાછળ રહી જનારા લોકો માંથી થઇ જશે.
૬૧. પછી જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા.
૬૨. તો લૂતે તે લોકોને કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો.
૬૩. તેઓ કહેવા લાગ્યા, પરંતુ અમે તમાંરી પાસે તે (અઝાબ) લઇને આવ્યા છીએ, જેના વિશે આ લોકો શંકામાં હતા.
૬૪. અમે તો તમારી પાસે (ઠોસ) વાત લઇને આવ્યા છીએ અને અમે પણ સાચા છે.
૬૫. હવે તમે પોતાના કુટુંબીજો સાથે રાત્રિના કોઈ પ્રહરમાં ચાલી નીકળો અને તમે તે સૌની પાછળ રહેજો અને (ખબરદાર) તમારા માંથી કોઈ (પાછળ) ફરીને ન જુએ. અને ત્યાં જાઓ જે જગ્યા પર જવાનો તમને આદેશ આપવામાં આવ્યો છે.
૬૬. અને અમે લૂતને અમારો નિર્ણય સભળાવી દીધો, કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું.
૬૭. એટલા માંજ શહેરવાળાઓ ખુશી ખુશી લૂત પાસે આવ્યા.
૬૮. લૂતે તેમને કહ્યું, આ લોકો મારા મહેમાન છે તેમની સામે મારું અપમાન ન કરશો .
૬૯. અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરશો.
૭૦. તેઓએ કહ્યું શું અમે તમને દુનિયાની (ઠેકેદારી) લેવાથી રોક્યા નથી?
૭૧. લૂતે કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે.
૭૨. (હે નબી ﷺ) તમારી ઉંમરની કસમ! તે સમયે પોતાની મસ્તીમાં પાગલ બની ગયા હતા.
૭૩. બસ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા.
૭૪. છેવટે અમે તે શહેરના ઉપરના ભાગને નીચે કરી દીધો અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા.
૭૫. ખરેખર બુદ્ધિશાળી લોકો માટે આ કિસ્સામાં ઘણી નિશાનીઓ છે.
૭૬. આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી.
૭૭. અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.
૭૮. “અયકહ”ના લોકો પણ અત્યંત જાલિમ લોકો હતા.
૭૯. અમે તેમનાથી)પણ) બદલો લઈ લીધો અને આ બન્ને શહેરના સામાન્ય માર્ગ ઉપર રહેતા હતા.
૮૦. અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા હતા.
૮૧. અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા.
૮૨. આ લોકો પર્વતોને કોતરીને ઘરો બનાવી, શાંતિપૂર્વક તેમાં રહેતા હતા.
૮૩. છેવટે સવારના સમયે તેઓને એક ધમાકાએ પકડી લીધા.
૮૪. અને જે કઈ (પથ્થરના ઘરો વગેરે) બનાવતા હતા, સહેજ પણ તેમના કામમાં ના આવ્યા.
૮૫. અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓને યોગ્યતા પ્રમાણે પેદા કરી છે, અને કયામત જરૂર આવશે. એટલા માટે (હે નબી! આ કાફિરોની ભૂલો પર) તમે સારી રીતે તેમને દરગુજર કરી દો. .
૮૬. નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને બધું જ જાણવાવાળો છે.
૮૭. નિ:શંક અમે તમને સાત આયતો એવી આપી રાખી છે, જેને વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે.
૮૮. એટલા માટે અમે ઘણા લોકોને જે દુનિયાનો સામાન આપી રાખ્યો છે, તે તરફ નજર ઊઠાવીને પણ ન જોશો, અને ન તો તેમના માટે નિરાશ ન થશો, અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો.
૮૯. અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે (અઝાબથી) સચેત કરનારો છું.
૯૦. જેવું કે અમે (અઝાબ) તે મતભેદ કરનારાઓ પર ઉતાર્યો.
૯૧. જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા.
૯૨. તમારા પાલનહારની કસમ! અમે તેઓને (તે કાર્યો વિશે) જરૂર પૂછીશું.
૯૩. દરેક તે બાબત વિશે, જે તેઓ કરતા હતા.
૯૪. બસ! તમને જે આદેશ આપવામાં આવી રહ્યો છે. ખુલ્લી રીતે જણાવી દો અને મુશરિકો લોકોની પરવા ન કરશો.
૯૫. તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે.
૯૬. જે અલ્લાહની સાથે બીજાને ઇલાહ નક્કી કરે છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.
૯૭. અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે.
૯૮. તમે પોતાના પાલનહારના વખાણ કરતા તસ્બીહ પઢતા રહો, અને સિજદો કરો.
૯૯. અને પોતાના પાલનહારની બંદગી મૃત્યુ સુધી કરતા રહો.