૧. જે લોકોએ કુફ્ર કર્યું અને (બીજાને) અલ્લાહના માર્ગથી રોક્યા, તો અલ્લાહએ તેઓના કર્મોને બરબાદ કરી દીધા.
മുഹമ്മദ് محمد Muhammad
സൂറത്ത് മുഹമ്മദ് (Muhammad), ഖുർആൻ അധ്യായം 47 — അറബി ആയത്തുകളും ગુજરાતી വിവർത്തനവും ഉൾപ്പെടെ 38 ആയത്തുകൾ വായിക്കുക. Read Surah Muhammad with Arabic text and ગુજરાતી translation.
૨. જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા અને તે (વાત) પર પણ ઇમાન લાવ્યા, જે મુહમ્મદ પર ઉતારવામાં આવી છે અને તે જ તેમના પાલનહાર તરફથી સત્ય છે, અલ્લાહએ તેઓના ગુનાહ દુર કરી દીધા અને તેઓને સુધારી દીધા.
૩. આ એટલા માટે કે કાફિરોએ અસ્ત્યનું અનુસરણ કર્યુ અને ઇમાનવાળાઓ એ સત્ય (ધર્મ) નું અનુસરણ કર્યુ, જે તેઓના પાલનહાર તરફથી છે, અલ્લાહ તઆલા આ પ્રમાણે જ લોકોને તેમની ચોક્કસ સ્થિતિ વર્ણન કરી દે છે.
૪. (મુસલમાનો) જ્યારે કાફિરો સાથે તમારી અથડામણ થાય તો ગળા પર વાર કરો, જ્યારે તેઓને બરાબર કચડી નાખો તો હવે બરાબર ઠોસ બાંધી કેદી બનાવી લો, (પછી અધિકાર છે) કે ચાહે ઉપકાર કરી છોડી દો અથવા દંડની રકમ લઇલો. જ્યાં સુધી તેઓ પોતાના શસ્ત્ર મુકી ન દે, (તમારા માટે) આ જ આદેશ છે અને જો અલ્લાહ ઇચ્છે તો (પોતે જ) તેઓથી બદલો લઇ લેતો, પરંતુ (તેની ઇચ્છા એ છે) કે તમારા માંથી એક-બીજાની અજમાયશ કરે, જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરી દેવામાં આવે છે, અલ્લાહ તેઓના કર્મો કદાપિ નહી વેડફે.
૫. તેઓને માર્ગ બતાવશે અને તેઓની પરિસ્થિતિ સુધારી દેશે.
૬. અને તેઓને તે જન્નતમાં લઇ જશે, જેની તેઓને ઓળખ આપી દેવામાં આવી છે.
૭. હે ઇમાનવાળાઓ! જો તમે અલ્લાહના (દીનની) મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને તમને સાબિત રાખશે.
૮. અને જે લોકોએ કુફ્ર કર્યું, તેમના માટે બરબાદી છે, અને તે તેઓના કર્મો બેકાર કરી દેશે.
૯. આ એટલા માટે કે તેઓએ અલ્લાહની ઉતારેલી વસ્તુને પસંદ ન કરી, બસ! અલ્લાહ તઆલાએ (પણ) તેઓના કર્મો બેકાર કરી દીધા.
૧૦. શું તે લોકો ધરતી પર હરી ફરી જોતા નથી કે જે લોકો તેમના પહેલા પસાર થઇ ગયા છે, તેમની દશા કેવી થઇ? અલ્લાહ તઆલાએ તેઓને નષ્ટ કરી દીધા અને કાફિરો માટે આવી જ સજા હોય છે.
૧૧. તે એટલા માટે કે ઇમાનવાળાઓનો દોસ્ત અલ્લાહ તઆલા પોતે જ છે અને કાફિરોનો કોઇ દોસ્ત નથી.
૧૨. જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે અને જે લોકો કાફિર છે તેઓ (દુનિયાનો જ) ફાયદો ઉઠાવી લે અને જાનવરોની માફક ખાઇ રહ્યા છે, તેઓનું (ખરેખરૂં) ઠેકાણું જહન્નમ છે.
૧૩. અમે કેટલીક વસ્તીઓને જે તાકાતમાં તમારી આ વસ્તી કરતા વધારે શક્તિશાળી હતી, જ્યાંનાં (રહેવાસીઓએ) તમને ત્યાંથી કાઢી મુક્યા, અમે તેઓને નષ્ટ કરી દીધા, બસ! તેઓ માટે મદદ કરનાર કોઇ ન હતું.
૧૪. શું તે વ્યક્તિ, જે પોતાના પાલનહાર તરફથી ખુલ્લા પૂરાવા સાથે હોય તે વ્યક્તિ માફક થઇ શકે છે જેના માટે તેનું ખરાબ કાર્ય તેના માટે સારૂ કરી દેવામાં આવ્યુ છે? અને તે પોતાની મનેચ્છાઓ અનુસરણ કરતો હોય.
૧૫. તે જન્નતની વિશેષતા, જેનું વચન ડરવાવાળાઓને આપવામાં આવ્યું છે, એ છે કે તેમાં પાણીની નહેરો છે, જે દુર્ગંધ ફેલાવવા વાળુ નથી અને દુધની નહેરો છે, જેનો સ્વાદ બદલાયેલો નથી અને શરાબની નહેરો છે, જે પીવાવાળા માટે ખુબ જ સ્વાદિષ્ટ છે, અને મધની નહેરો છે, જે ખુબ જચોખ્ખી છે અને તેઓ માટે દરેક પ્રકારના ફળો છે અને તેમના પાલનહાર તરફથી ક્ષમા છે. શું આ વ્યક્તિ તે વ્યક્તિ જેવો હોઈ શકે છે, જે હંમેશા આગમાં રહેવાવાળો હોય? અને જેમને ગરમ ઉકળતું પાણી પીવડાવવામાં આવે? જે તેમના આંતરડાઓના ટુકડે ટુકડા કરી દેશે.
૧૬. અને (હે પયગંબર) તેમાં કેટલાક (એવા પણ છે કે) તારી તરફ કાન લગાવે છે, અહીં સુધી કે જ્યારે તમારી પાસેથી ઉભા થઇ જવા લાગે છે, તો જ્ઞાનવાળાથી પુછે છે કે તેણે હમણાં શું કહ્યું હતું? આ જ તે લોકો છે, જેઓના હૃદયો પર અલ્લાહ તઆલાએ મહોર લગાવી દીધી છે અને તેઓ પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરે છે.
૧૭. અને જે લોકો હિદાયત પર છે, અલ્લાહ તેમને હિદાયત પર વધારે જમાવી દે છે, અને તેઓને તકવો આપે છે.
૧૮. તો શું આ લોકો કયામતના દિવસની પ્રતિક્ષા કરી રહ્યા છે કે તે (દિવસ) તેમની પાસે અચાનક આવી જાય, નિ:શંક તેની નિશાનીઓ તો આવી પહોંચી છે, પછી જ્યારે કયામત આવી જશે, ત્યારે તેઓને શિખામણ આપવામાં નહી આવે.
૧૯. તો (હે પયગંબર) તમે જાણી લો કે અલ્લાહ સિવાય કોઇ બંદગીને લાયક નથી અને પોતાના માટે અને ઇમાનવાળા પુરૂષો અને ઇમાનવાળી સ્ત્રીઓના માટે પણ ગુનાહોની માફી માંગતા રહો, અલ્લાહ તઆલા તમારા લોકોની હરવા-ફરવા અને રહેઠાણને ખુબ સારી રીતે જાણે છે.
૨૦. અને જે લોકો ઇમાન લાવ્યા તેઓ કહે છે કે (યુદ્ધ બાબતે) કેમ કોઇ સૂરહ ઉતારવામાં આવતી નથી? પછી જ્યારે કોઇ સ્પષ્ટ સૂરહ ઉતારવામાં આવી અને તેમાં લડાઇનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો તમે જૂઓ છો કે જે લોકોના હૃદયોમાં (નીફાક)ની બિમારી છે, તેઓ તમારી તરફ એવી રીતે જૂએ છે જેવી રીતે કોઈ વ્યક્તિ પર મૃત્યુની સ્થિતિ આવી પહોચી હોય આવા લોકો માટે નષ્ટતા છે.
૨૧. (એવું હોવું જોઈતું હતું કે તેઓ નબીનું) અનુસરણ કરતા અને સારી વાત કહેતા, પછી જ્યારે (જિહાદની વાત) કામ નક્કી થઇ ગઈ તો જો અલ્લાહના આદેશોને આધિન રહ્યા હોત, તો તેઓ માટે સારૂ થાત.
૨૨. પછી (હે મુનાફિકો) તમારાથી દૂર નથી કે જો તમને સત્તા મળી જાય તો તમે ધરતી પર ફસાદ કરવા લાગો અને સબંધો પણ તોડવા લાગો.
૨૩. આ જ તે લોકો છે, જેમના પર અલ્લાહએ લઅનત કરી અને તેમને બહેરા કરી દીધા અને આંધળા બનાવી દીધા.
૨૪. શું આ કુરઆનમાં ચિંતન-મનન નથી કરતા? અથવા તેઓના હૃદયો પર તાળા વાગી ગયા છે?
૨૫. જે લોકોએ સત્ય માર્ગ સ્પષ્ટ થઇ ગયા પછી પણ પીઠ બતાવી, શૈતાને (તેમના કાર્યોને) તેઓ માટે શણગાવી દીધા, અને તેમને (કાયમી જીવિત રહેવાની) આશા અપાવી
૨૬. આ એટલા માટે કે તે (મુનાફિકો)એ તે લોકો (યહૂદી) ને કહ્યું, જેઓ અલ્લાહએ ઉતારેલા દીનને નાપસંદ કરતા હતા, કે અમે તમારી કેટલીક વાતો માની લઇશું, અને અલ્લાહ તેમની છૂપી વાતોને સારી રીતે જાણે છે.
૨૭. તે સમયે તેમની દશા કેવી હશે, જ્યારે કે ફરિશ્તાઓ તેઓના પ્રાણ કાઢતા તેઓના મૂખો અને કમરો ઉપર મારી રહ્યા હશે.
૨૮. આ એટલા માટે કે તેઓ એવા માર્ગ પર ચાલ્યા, જે માર્ગથી અલ્લાહ નારાજ થયો, અને તેઓએ તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાને નાપસંદ કર્યું, તો અલ્લાહેએ તેઓના કર્મો વ્યર્થ કરી દીધા.
૨૯. જે લોકોના હૃદયોમાં બિમારી છે, શું તે લોકો એવું સમજે છે કે અલ્લાહ તેમના દ્વેષને ખુલ્લું નહી કરે?
૩૦. અને જો અમે ઇચ્છતા તો તે સૌને તમને બતાવી દેતા, બસ! તમે તેઓને તેમના મૂખોથી જ ઓળખી લેતા અને નિ:શંક તમે તેઓની વાતના ઢંગથી ઓળખી લેતા, તમારા દરેક કાર્યની અલ્લાહને જાણ છે.
૩૧. અમે તમારી કસોટી જરૂર કરીશું, જેથી ખબર પડી જાય કે તમારા માંથી જિહાદ કરનારાઓ અને ધીરજ રાખનાર કોણ છે? અને તમારી પરિસ્થિતિની ચકાસણી કરીશું.
૩૨. નિ:શંક જે લોકોએ કુફ્ર કર્યો અને અલ્લાહના માર્ગથી લોકોને રોકતા રહ્યા અને હિદાયતનો માર્ગ સ્પષ્ટ થઇ ગયા છંતાય પયગંબરનો વિરોધ કર્યો, આ લોકો કદાપિ અલ્લાહને કંઇ નુકસાન નથી પહોંચાડી શકતા, નજીકમાં તેઓના કર્મો તે વ્યર્થ કરી દેશે
૩૩. હે ઇમાનવાળાઓ! અલ્લાહ અને પયગંબરની વાતનું અનુસરણ કરો. અને પોતાના કર્મોને વ્યર્થ ન કરો.
૩૪. જે લોકોએ કુફ્ર કર્યું અને અલ્લાહ ના માર્ગથી લોકોને રોક્યા પછી કુફ્ર પર જ મૃત્યુ પામ્યા (ખરેખર જાણી લો) કે અલ્લાહ તેઓને કદાપિ માફ નહીં કરે.
૩૫. બસ! તમે નબળા પડીને શાંતિનો સંદેશો ન મોકલાવો, જ્યારે કે તમે જ પ્રભુત્વશાળી છો, અને અલ્લાહ તમારી સાથે છે, તે (અલ્લાહ) કદાપિ તમારા કર્મોને વ્યર્થ નહીં કરે.
૩૬. ખરેખર દુનિયાનું જીવન તો ફકત રમત-ગમત છે અને જો તમે ઇમાન લઇ આવશો અને ડરવા લાગશો તો અલ્લાહ તમને તમારો સવાબ આપશે અને તમારી પાસેથી તમારૂ ધનની માંગણી નહીં કરે.
૩૭. જો તે તમારી પાસેથી ધનની માંગણી કરે અને તે ભારપૂર્વક માંગણી કરે તો તમે તે સમયે કંજૂસાઇ કરવા લાગશો અને તે કંજૂસી તમારા વેરને ખુલ્લો કરી દેશે.
૩૮. ખબરદાર! તમે તે લોકો છો, જેમને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવા માટે બોલવવામાં આવો છો, તો તમારા માંથી કેટલાક કંજૂસાઇ કરવા લાગે છે અને જે કંજૂસી કરે છે તે તો અસલમાં પોતાના જીવ સાથે કંજૂસી કરે છે, અલ્લાહ તઆલા ગની (અપેક્ષા-મુક્ત) છે અને તમે ફકીર છો. અને જો તમે મોઢું ફેરવી લેશો તો તે તમારા વતી તમારા વગર બીજા લોકોને લાવશે, જે તમારા જેવા નહીં હોય.